Bible_English

Welcome to...

English  | 

We are very happy to meet you in our webpage...

ઈસુ ખ્રિસ્ત કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન ઈસુ (ફાધર વર્ગીસ પોલ)

ઈસુ અને ક્રૂસ
ઈસુ અંગેની મારી વાત ક્રૂસના ઉલ્લેખ વિના અધૂરી ગણાશે. નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઈસુની ખાસ નોંધલી એક વાત છે, જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાર કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે (માથ્થી 16, 24, માર્ક 8, 34, લૂક 14, 27).

બધા લોકો જાણે છે કે ઈસુ ખ્રિસ્ત ક્રૂર પર મૃત્યુને વર્યા છે અને ક્રૂસ ખ્રિસ્તી ધર્મનું ખાસ ચિહન છે. હિન્દી ફિલ્મોમાં ખ્રિસ્તીઓને બતાવવા માટે નટ કે નટીના ગળા પર ક્રૂસ લટકતો બતાવવામાં આવે છે.

કોઈક વાર ઈતર ધર્મોના લોકો પણ ગળામાં પહેરવા માટે મારી પાસેની ક્રૂસની ભેટ માગે છે. પણ મને શંકા છે કે ક્રૂસ પ્રત્યે આદરમાન રાખનાર લોકો પણ ક્રૂસનો ખરો અર્થ સમજતા નથી ! ક્રૂસ વિશે થોડું ઘણુ જાણનાર માણસો પણ મને કોઈક વાર પૂછે છે કે ક્રૂસ પર લખેલા ચાર અક્ષરો આઈ.એન.આર.આઈ. – નો શો અર્થ થાય છે.

રોમન લોકોમાં ક્રૂસે લટકાવીને મારી નખાતા ગુનેગારોના ઉલ્લેખનું પાટિયું ક્રૂસ પર લટકાવવાનો રિવાજ હતો. ઈસુના ક્રૂસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઈસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઈસુનો ગુનો એટલે ઈસુ પોતાને યહૂદોના રાજા ગણાવતા હતા, એ એટલે તેમણે ક્રૂસ પર પાટિયામાં લખાવડાવેલું. નાઝરેથનો ઈસુ યહૂદીઓનો રાજા.

યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઈસુને ક્રૂસ પર માની નાખવાનો હુકમ કરનાર રોમન સુબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંધ્યું પણ છે કે લોકોએ કેવળ અદેખાઈને લીધે જ ઈસુને મોતને હવાલે કર્યા હતા. (માથ્થી 27, 18). છતાં પિલાતે લોકોની બીકે ઈસુને કોરડા મરાવી ક્રૂસે ચડાવવા માટે સોંપી દીધી (માથ્થી 27, 2).

ઈસુને ક્રૂસ પર મારી નાખવામં આવ્યા હોવાથી ઘણા લોકો ક્રૂસને મૃત્યુનું ચિહન કે નિશાન સમજે છે. પણ ક્રૂસ તો મૃત્યુનું નહિ પણ જીવનનું નિશાન છે. કેટલાક લોકોની દષ્ટિએ ઈસુ ક્રૂસ પર પોતાનું જીવન ખોઈ બેઠા. એટલે ક્રૂસ હારનું નિશાન છે. પણ ક્રૂસનો અર્થ બરાબર સમજનાર માણસો જાણે છે કે ક્રૂસ હાર કે નિરાશાનું નહિ પણ જીત અને જીવનનું ખરું નિશાન છે.

ક્રૂસનો અર્થ બરાબર સમજવા માટે નવા કરારમાં યોહાનના શબ્દો આપણી મદદે આવે છે. ઈસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે. પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું માળવવા માટે, કોઈ એને મારી પાસેથી લઈ લેતું નથી, પણ હું જ એને મારી મેળે અર્પી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે. (યોહાન 10, 17-18).

ઈશ્વરીય યોજનામાં ઈસુ પોતે જ ક્રૂસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઈસુને ક્રૂસ તરફ દોરી જનાર એક જ બાબત છે. ઈસુનો માણસ પ્રત્યેનો પ્રેમ ! ઈસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઈશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઈને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઈસુ એ ક્રૂસને ભેટયો છે.

ક્રૂસ પરના મૃત્યુને ભેટવાનો ઈસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે. એટલે ખ્રિસ્તી લોકો માને છે કે ઈસુના ક્રૂસને ભેટતા પ્રેમમાંથી કોઈ માણસ બાકાત નથી. એટલે ઈશ્વરે સર્જેલા પ્રથમ માનવથી માંડી આવનાર પેઢીના છેલ્લામાં છેલ્લા માણસને ઈસુ ક્રૂસને ભેટેલા પોતાના પ્રેમપાશમાં સમાવી લે છે. એની મતબલ છે કે, ક્રૂસ પરના મૃત્યુ દ્વારા ઈસુ દરેક માણસને જીવનની ભેટ ધરે છે. એટલે ક્રૂસ ખરેખર માણસના જીવન અને મુક્તિનું નિશાન છે.

સંત લોરેન્સનો દાખલો
ઈસુના એક શિષ્ય પાઉલ કરિંથના પહેલા પત્રમાં લખે છે તેમ, ક્રૂસ ઈશ્વરીય શક્તિસ્વરૂપ છે. ઈટાલીના સંત લોરેન્સ બ્રિનડીસીની જેમ ખ્રિસ્તીઓ ક્રૂસને શક્તિનો સ્ત્રોત અને દુઃખમાં આશરો ગણે છે. લોરેન્સ બ્રિનડીસીનો જન્મ એક ધનિક કુટુંબમાં થયો હતો. તેઓ યુવાનીમાં ખ્રિસ્તી સંન્યાસી બનવાની ઈચ્છાથી કપ્પુચિન સંન્યસ્ત સંઘના એક આશ્રમમાં પહોંચ્યા. આશ્રમના વડીલ ધર્મગુરુએ આશ્રમના ત્યાગભર્યા અને ખૂબ સંયમભર્યા જીવન વિશે સમજાવીને જુવાનજોધ લોરોન્સને કહ્યું કે, દીકરા આશ્રમજીવન તારા જેવા સુખ-લોલુપતામાં ઉછરેલા યુવાનો માટે નથી. તમારા જેવા યુવાનને આશ્રમનું જીવન માફક ન આવે.

આશ્રમના વડીલની વાત ધ્યાનથી સાંભળીને લોરેન્સે એમને પૂછ્યું, પૂજ્ય ગુરુજી, આપ આશ્રમમમાં મને આપી શકો એવી કોઈ નાની ઓરડીમાં કૂસ છે.?

આશ્રમના વડીલ ધર્મગુરુએ કહ્યું કે આશ્રમની એકેએક નાની ઓરડીની દીવાલ પર ક્રૂસ લટકેલો હોય છે.

લોરેન્સ તરત જ આશ્રમના વડીલ ધર્મગુરુને કહ્યું, પૂજ્ય ગુરુજી, મારા માટેની નાની ઓરડીમાં ક્રૂસ હોય તો મારે માટે એ પૂરતું છે. ક્રૂસ મારી સામે હોય તો કોઈ પણ પ્રકારનો ત્યાગ વેઠવા અને સંયમભર્યું જીવન ગાળવા માટે મને શક્તિ મળી રહેશે.

લોરેન્સ બ્રિનડીસીનું જીવન (1559-1619) લખનાર જણાવે છે કે તેઓ દેશ-પરદેશમાં ઈસુના ક્રૂસ અને સંદેશની ઘોષણા કરનાર એક સંત બની ગયા.

અનુયાયીઓ માટે પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે, એવો ઈસુનો સંદેશ પોતાના જીવનના કંટકછાયા પંથમાં પૂરેપુરો અમલમાં મૂકનાર પોલ ઉપરોક્ત કરિંથના પત્રમાં લખે છે, યહૂદીઓ પરચા-રૂપી પુરાવા જોવા માગે છે, અને ગ્રીકો જ્ઞાનની શોધમાં હોય છે, પણ અમે ખ્રિસ્તની ઘોષણા કરીએ છીએ, અને તે પણ ક્રૂસે જડાયેલા ખ્રિસ્તની (1 કરિંથ 1, 22-23).

ક્રૂસ અને ગુજરાતી કવિઓ
ઈસુના ક્રૂસ અને ક્રૂસના સંદેશ વિશે ઘણા ગુજરાતી કવિઓએ કાવ્યો લખ્યાં છે. કવિ યોસેફ મેકવાને ક્રોસ અને કવિ નામે ક્રોસ વિશે જાણીતા કવિઓની રચનાઓનો એક સમીક્ષા ગ્રંથ બહાર પાડયો છે. એમાં પ્રવીણ જોશી એક કાવ્યામાં સાચું જ કહે છે,
મેરીના ગર્ભથી
વધસ્થંભના ખીલાઓ સુધી જિવાડેલ
ઈસુ -
આજે ક્રોસ પરથી ઊતરી
આપણી પ્રાર્થનામાં જોડાઈ ગયો.
અંતે, કવિ શેખાદમ આબુવાલાએ લખેલી ક્રોસ અને ખીલા નામે સુન્દર ગઝલના ચાર શેરો અહીં ટાંકું છુઃ
ક્રોસ પર એને જડી દેવો પડયો,
માનવીઓ કેટલા ઢીલા હતા !
જિંદગી દેનાર પોતે ક્રોસ પર,
એ તો અમથા મોતના હીલા હતા.
યાદ શું આવી હશે એની વ્યથા
શ્વાસ આજે કેમ દર્દીલા હતા ?
એ જ આદમ, કહાની એ જ છે,
પ્રેમ પ્હેલાં ક્રોસ ને ખીલા હતા.
ક્રૂસ પરના મૃત્યુના ત્રીજા દિવસે ઈસુનું પુનરુત્થાન થયું હતું.