અધ્યાય-2
ઈસુનો જન્મ
- હવે, એ સમયે એવું બન્યું કે, બાદશાહ ઓગસ્તસે આખા રોમન સામ્રાજ્યની વસ્તીગણતરી કરવાનું ફરમાન કાઢયું.
- એ પહેલી વસ્તીગમતરી હતી અને તે સમયે કુરીનિયસ સિરિયાનો સૂબો હતો.
- એટલે સૌ પોતપોતાને વતન નોંધવા માટે ચાલ્યાં ગયાં.
- એ રીતે યોસેફ પણ. દાવિદના વંશના અને કુળના હોવાથી, ગાલીલના ગામ નાસરેથથી યુહૂદિયામાં આવેલા દાવિદના નગર બેથલહેમ નોંધાવા ચાલ્યા ગયા.
- તેમની સાથે મરિયમ હતાં જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા.
- તે સગર્ભા હતાં અને તે લોકો ત્યાં હતાં એ દરમિયાન તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો.
- અને તેમણે પોતાના ખોળાના પુત્રનો જન્મ આપ્યો. તેમણે બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડયો, કારણ, ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી.
- એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાતે વારાફરતી પોતાનાં ઘેટાંની ચોકી કરતા હતા.
- અચાનક પ્રભુવનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા.
- પણ દેવદૂતે તેમને કહ્યું, બીશો નહિ, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે.
- આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે.
- એની એંધાણી એ કે, તમે એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડેસો જોશો.
- પલકારામાં એ દૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતો નજરે પડયો.
- પરમધામમાં ઈશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ !
- પછી દેવદૂતો તેમની આગળથી સ્વર્ગમાં પાછી ચાલ્યા ગયા. એટલે ભરવાડો એકબીજાને કહેવા લાગ્યા. ચાલો, આપણે સીધા બેથલેહેમ જ જઈએ અને આ જે વસ્તુ બની છે અને ઈશ્વરે જેની આપણને જાણ કરી છે તેની ભાળ કાઢીએ.
- તેઓ તાબડતોબ નીકળી પજયા અને તેમણે મરિયમને ને યોસેફને ને ગમાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢયાં.
- તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું.
- અને જેમણે જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યાં.
- પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંઘી રાખીને તેના ઉપર વિચાર કરતાં રહ્યાં.
- પછી ભરવાડો પોતે જે કાંઈ સાંભળ્યું ને જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા, એમને કહેવામાં આવ્યું હતું તે જ પ્રમાણે બધું બન્યું હતું.
પ્રભુને સમર્પણ
- આઠ દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડયું હતું.
- મોશેની ધર્મસંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરુશાલેમ લઈ આવ્યાં.
- કારણ, પ્રભુની ધર્મસંહિતામાં લખ્યું છે કે, પ્રથમ જ્ન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો.
- પ્રભુની ધર્મસંહિતામાં કહ્યા પ્રમાણે તેણે બે હોલાં અથવા બે પારેવાંનાં બચ્ચાંનો ભોગ પણ ચડાવવાનો હતો.
- એ વખતે યરુશાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો. તે ધર્મનિષ્ઠ અને ભક્તહૃદયનો હતો. તે ઈસ્રાયલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો, અ તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો.
- પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાનાં દર્શન કર્યા પહેલાં તેને મરણ આવવાનું નથી.
- પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદરિમાં આવ્યો હતો અને ઈસુનાં માતાપિતા ધર્મસંહિતાના રિવાજ પ્રમાણે કરવાની ક્રાયા માટે તેને લઈને મંદિરમાં આવ્યાં.
- ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડીઃ
- હે નાથ, તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્તિ કરી શકો છો.
- કારણ, તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિમ્યા છે.
- તેને મારી આંખે નિહાળ્યો છે.
- તે દેશવિદેશના લોકેને અજવાળનાર જ્યોતિ, અને તેમારી પ્રજા ઈસ્રાયલનું ગૌરવ છે.
- ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાતું હતું તે સાંભળીને નવાઈ પામ્યાં.
- શિમયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો, આ બાળક ઈસ્રાયલમાં ઘણાંની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે.
- અને એ રીતે ઘણા મનની વાતો બહાર આવશે. તારું પોતાનું અંતર પણ તલવારથી વીંધાઈ જશે !
- આશરે કુળના ફનુએલની દીકરી હાન્ના નામે એક પયગંબર પણ ત્યાં હતી. તે ખૂબ ઘરડી હતી. લગ્ન પછી સાત વરસ તે પતિ સાથે રહી હતી.
- અને ત્યાર પછી ચોર્યાસી વરસ થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી. તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાતદિવસ ભક્તિમાં લીન રહેતી હતી.
- આ જ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરુશાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી.
- પ્રભુની ધર્મસંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલીલમાં પોતાને ગામ નાસરેથ પાછાં ફર્યાં.
- બાળક મોટો થયો તેમ તેમ તેનાં બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી.
ખોવાયા અને જડયા
- એ બાળકનાં માબાપ દર વરસે પાસ્ખાના પર્વ ઉપર યરુશાલેમ જતાં હતાં.
- જ્યારે ઈસુ બાર વર્ષના થયા ત્યારે પણ તેઓ વર્ષની પેઠે જાત્રાએ ગયાં.
- ઉત્સવ પૂરો થતાં તેઓ પાછાં ઘેર આવવા નીકળ્યાં, પણ બાળ ઈસુ યરુશાલેમમાં જ રહી પડયા અને એમનાં માબાપને એની ખબર જ ન પડી.
- ઈસુ પણ સંઘમાં જ છે એમ ધારીને એક દિવસ તો તેમણે પ્રવાસ જારી રાખ્યો, પણ પછી પોતાનાં સગાં-સંબંધીઓમાં અને ઓળખીતાં પાળખીતાંઓમાં તેમની શોધ કરવા માંડી.
- છોકરાનો પત્તો લાગ્યો નહિ એટલે તેઓ શોધતાં શોધતાં પાછાં યરુશાલેમ આવ્યાં.
- છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાળ લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા.
- એમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા.
- એમનો જોઈને એમનાં માબાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો, અને તેમની માએ તેમને કહ્યું, બેટા, તેં આમ કેમ કર્યું ? જો, તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અરધાં થઈ ગયાં.
- તેમણે તેઓને કહ્યું, તમે શું કરવા મારી શોધ કરી ? તમને ખબર નહોતી કે, હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ ?
- પણ તેમને એમનું સમજાયું નહિ.
- પછી ઈસુ તેમની સાથે પાછા નાસરેથ વ્યા અને તેમના કહ્યામાં રહ્યા. એમની માએ આ બધી વાત પોતાના હૈયામાં સંઘી રાખી.
- ઈસુ જ્ઞાનમાં અને ઉંમરમાં વધતા ગયા અને ઈશ્વરના અને માણસોના વધુ ને વધુ પ્રીતિપાત્ર બનતા ગયા.